અનન્યા/081122/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 39)

.

 

મારે આપને ‘શારદા ફિલ્મ કંપની’ની કાંઈક વિશેષ વાત કરવી છે.

1925માં ગુજરાતી મિત્રોના સહકારથી મુંબઈમાં સ્થપાયેલી શારદા ફિલ્મ્સના બેનર હેઠળ સાતેક વર્ષમાં 85થી વધારે મૂક ફિલ્મો બની. તેમાંની કેટલીક તો ભારતીય ચલચિત્ર ઉદ્યોગની યાદગાર ફિલ્મો બની રહી.

સિનેમા જગતમાં શારદા ફિલ્મ કંપનીનું એવું નામ થયું કે કૃષ્ણ ફિલ્મ કંપની   ના મશહૂર દિગ્દર્શક હર્ષદરાય સાકરલાલ મહેતા તથા સિનેમેટોગ્રાફર ચીમનલાલ લુહાર પણ પાછળથી શારદામાં જોડાયા હતા.

‘બાજીરાવ મસ્તાની’ એક ઐતિહાસિક ફિલ્મ તરીકે આરંભિક વર્ષોમાં જ શારદાનું બેનમૂન નજરાણું બની ગયું.

તે ફિલ્મનું દિગ્દર્શન નાનુભાઈ દેસાઈ સાથે ભાલજી પેંઢારકરે સંભાળ્યું. ફિલ્મ ડાયરેકટર તરીકે પેંઢારકરની આ પ્રથમ ફિલ્મ. “અનન્યા”ના મિત્રો જાણે છે કે ‘પૃથ્વીવલ્લભ’   માં ભાલજીએ એકટર તરીકે પ્રથમ વખત કામ કરેલું. બાજીરાવના દિગ્દર્શન સાથે ભાલજી ડાયરેક્ટર બન્યા.

મહારાષ્ટ્રીયન અદાકાર માસ્ટર વિઠ્ઠલ ‘બાજીરાવ મસ્તાની’ના અભિનેતા હતા. અભિનેતા તરીકે માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ ‘કલ્યાણ ખજીના’ (1924) હતી જેમાં અભિનેત્રી તરીકે ગુજરાતી અદાકારા સુલતાના(ઝુબેદાનાં બહેન)એ કામ કરેલું.

હું આપને એક રસપ્રદ વાત યાદ કરાવું? 1931ની હિંદુસ્તાનની પ્રથમ ટોકી ફિલ્મ ‘આલમઆરા’માં માસ્ટર વિઠ્ઠલ હીરો તથા ઝુબેદાજી હીરોઇન હતાં.

 

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 39) * * અનન્યા/081122/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

*   *   * *       *  *     *  *      **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **

 

અનન્યા/081025/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 38)

.

 

‘સ્ટાર ફિલ્મ કંપની’ માં અરદેશર ઈરાની સાથે ભાગીદાર ભોગીલાલ દવે હતા તે વાત મેં આપને કરી છે.

1922માં શરૂ થયેલી સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા. અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી.

1924માં ભોગીલાલ દવેએ નાનુભાઈ દેસાઈ સાથે મળી ‘સરસ્વતી સિનેટોન’ ( સરસ્વતી ફિલ્મ કંપની ) નામે ફિલ્મ કંપની બનાવી.

વળી આ એક ગુજરાતી મિત્રોનું સાહસ. મિત્રો! મને સરસ્વતીના નામ સાથે ‘સતી સરદારબા’ ફિલ્મ યાદ આવે છે. જી હા, સરસ્વતી ફિલ્મ્સના પ્રારંભની એક સફળ  ફિલ્મ ‘સતી સરદારબા’ હતી.

‘સતી સરદારબા’ ના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ હતા. મુખ્ય અભિનેત્રી તરીકે ઝુબેદાજી  હતાં. અભિનેતા મોહનલાલા હતા, જેમણે પાછળથી સર્વ પ્રથમ ગુજરાતી ટોકી ફિલ્મ ‘નરસિંહ મહેતા’માં અભિનય આપ્યો હતો. “અનન્યા”ના મારા મિત્રો! ‘સતી સરદારબા’ ફિલ્મમાં ફાતમા બેગમ ઉપરાંત તેમની પુત્રીઓ ઝુબેદા અને સુલતાના પણ હતાં. આ ફિલ્મના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈની પ્રથમ ફિલ્મ 1923માં બનેલી ‘ચાંપરાજ હાંડો’ હતી.

 ‘સરસ્વતી’ના એકાદ-બે વર્ષના સંચાલન પછી ભોગીલાલ દવે તથા નાનુભાઈ દેસાઈ સાથે મયાશંકર ભટ્ટ જોડાયા. ત્રણેએ 1925માં શારદા ફિલ્મ કંપની સ્થાપી.

‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મથી શારદા ફિલ્મ કંપનીને ભારે પ્રસિદ્ધિ મળી.

મુંબઈના સિનેમા જગતના સન્માનનીય ફિલ્મ નિર્માતા – દિગ્દર્શક વી. શાંતારામના મસિયાઈ ભાઈ પેંઢારકર બંધુઓની મેં આપને વાત કરી હતી, યાદ છે, મિત્રો?

‘બાજીરાવ મસ્તાની’એ ભાલજી પેંઢારકર અને માસ્ટર વિઠ્ઠલની કારકિર્દીના પાયા નાખ્યા. સિનેમા જગતમાં નામ કમાનાર આપણા ગુજરાતી બંધુ  નાનુભાઈ દેસાઈ 1929માં શારદામાંથી છૂટા પડ્યા અને તેમણે પોતાની સ્વતંત્ર ફિલ્મનિર્માણ કંપની ‘સરોજ ફિલ્મ્સ’ની સ્થાપના કરી. * * **

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 38) ** અનન્યા/081025/ફિલ્મસિનેમા/હરીશદવે/Ananyaa/ * * *

*   *   * *       *  *     *  *      **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **

અનન્યા/080913/ફિલ્મ-સિનેમા

.

અનન્યા/080913/ફિલ્મસિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 37)

.

અરદેશર ઈરાનીની જીવન કહાણી કહેતાં કહેતાં હું જરા આડી વાતે ચડી ગયો હતો!

મિત્રો! મેં આપને જણાવ્યું કે અરદેશર ઇરાની – ભોગીલાલ દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ કેટલીક ફિલ્મો બનાવી.

ઈરાની-દવેની જોડીએ વીર અભિમન્યુ ઉપરાંત ભીષ્મ પિતામહ, પિતૃદ્ધાર, ચંદ્રગુપ્ત આદિ ફિલ્મો બનાવી. સ્ટાર ફિલ્મ્સ દ્વારા બે વર્ષમાં પંદરથી વધુ (કદાચ પાંત્રીસેક?) ફિલ્મોનું નિર્માણ થયું. કાશ! આ બધી ફિલ્મોની તવારીખ સચવાઈ હોત તો કેટલું સારું હતું! તે જમાનાની નામી-અનામી ફિલ્મનિર્માણ કંપનીઓની અગણિત મૂગી ફિલ્મોનો રેકોર્ડ ક્યાં ઉપલબ્ધ છે? મિત્રો! આ તો બધા અંદાજ છે.

1924માં સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા.

મેજેસ્ટિક થિયેટરના માલિક અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી. ‘મેજેસ્ટિક’ના નેજા હેઠળ અરદેશર ઈરાનીએ માંડ દસ-પંદર ફિલ્મો ઉતારી હોવાનું કહેવાય છે. તેમાં સદાવંત સાવળિંગા, પાપનો ફેજ, આત્મ બળ આદિ ફિલ્મો ઉતારી.

મેજેસ્ટિકની જાણીતી ફિલ્મ ‘પાપનો ફેજ’માં ફિલ્મના ડાયરેકટર નવલ ગાંધી હતા. નવલ ગાંધીનો જન્મ કરાંચી (પાકિસ્તાન)માં 1897માં થયો હતો.

આ ફિલ્મમાં અભિનેતા તરીકે ભગવતીપ્રસાદ મિશ્રાને પસંદ કરાયા હતા. ભગવતીપ્રસાદ મિશ્રા ઉત્તર પ્રદેશના વતની હતા અને અગાઉ ઈરાનીની સ્ટાર ફિલ્મ કંપનીમાં દિગ્દર્શન કરી ચૂક્યા હતા. મિશ્રાજીએ જીવન પર્યંત અરદેશર ઈરાનીનો સાથ નિભાવ્યો. માત્ર છત્રીસ વર્ષની ભર યુવાન વયે તેમનું અવસાન થયું. ભગવતી પ્રસાદ મિશ્રાની આખરી ફિલ્મોમાં એક મહત્વની ફિલ્મ પણ ઈરાની દ્વારા નિર્મિત ‘ઝાલિમ જવાની’ હતી. તે ફિલ્મમાં માસ્ટર વિઠ્ઠલ સાથે એર્મેલિનનો અભિનય હતો.

મેજેસ્ટિક કંપનીએ એકાદ-બે વર્ષનાં અસ્તિત્વમાં ગણીગાંઠી ફિલ્મો બનાવી. 1925માં ઈરાનીએ નવી ફિલ્મનિર્માણ કંપની ‘રોયલ આર્ટ સ્ટુડિયો’ની સ્થાપના કરી. રોયલ આર્ટના નેજા હેઠળ ઈરાનીએ પચીસેક ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે.

ત્યાર બાદ ઈરાનીએ ઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની સ્થાપના કરી, જે ભારતના સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નામના મેળવી ગઈ.

ઈમ્પીરિયલ દ્વારા નિર્મિત “આલમઆરા” હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ – ટોકી ફિલ્મ – તરીકે અરદેશર ઈરાનીને અમર કરી ગઈ છે. . . * * **

* *

ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 37) * * અનન્યા/080913/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

* * * * * * * * **

અનન્યા/080906/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 36 )

સચીન, દક્ષિણ ગુજરાતના ફાતમા બેગમ (ફાતિમા બેગમ) અને ઝુબેદાજીની વાત કરતાં કરતાં એક વાત નજરે પડે છે. “અનન્યા”ના મારા મિત્રો! મુંબઈમાં હિંદુસ્તાની સિનેમા ઉદ્યોગને વિકસાવવામાં ગુજરાતીઓનો ફાળો અદ્વિતીય છે, પરંતુ આપને એક અચરજ પમાડે તેવી વાત કહું?

દક્ષિણ ગુજરાતમાંથી – સુરત વલસાડ પ્રદેશોમાંથી – બેશુમાર કસબીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગને સમૃદ્ધ કર્યો છે. થોડાં નામ ગણાવું?

હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ (ટોકી ફિલ્મ) આલમઆરાની પ્રથમ ભારતીય અભિનેત્રી ઝુબેદા, ભારતનાં પ્રથમ મહિલા-દિગ્દર્શક ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ‘આલમઆરા’ના હીરો માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ કલ્યાણ ખજીનાની અભિનેત્રી સુલતાના (ઝુબેદાની બહેન), ‘મધર ઇંડિયા’ના સર્જક પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર મહેબૂબ ખાન, રાજકપૂરના માનીતા વિખ્યાત સંગીતકાર જયકિશન, અમિતાભ બચ્ચનની પ્રતિભા ઉજાળનાર અનાવિલ બ્રાહ્મણ મનમોહન દેસાઈના પિતાશ્રી ફિલ્મ નિર્માતા કીકુભાઈ દેસાઈ, સવાક્ ગુજરાતી સિનેમાના પ્રથમ ગુજરાતી બોલપટના દિગ્દર્શક નાનુભાઈ વકીલ, ‘સોનેરી ખંજર’ ફિલ્મમાં અભિનેત્રી ડોરોથીને દોરવનાર દિગ્દર્શક હર્ષદરાય સાકરલાલ મહેતા, ‘મુંબઈની મોહિની’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ, વિષ્ણુ સિનેટોનના ધીરુભાઈ દેસાઈ, બેંગલોરમાં સિનેમા ઉદ્યોગ સ્થાપનાર અનાવિલ હરિભાઈ દેસાઈ …… યાદી લંબાતી રહેશે.

મિત્રો! કેટકેટલા ફિલ્મી કસબીઓ દક્ષિણ ગુજરાતમાંથી ચમક્યા!

.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 36 ) * * અનન્યા/080906/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
* * * * * * * * **

* * * * * * * * **

અનન્યા/080830/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 35 )

ફાતમા બેગમ (ફાતિમા બેગમ) ને સ્ટાર ફિલ્મ્સની ‘વીર અભિમન્યુ‘ ફિલ્મ ફળી. ત્યારે તેમની પુત્રી ઝુબેદાની ઉંમર માંડ અગિયારેક વર્ષની હતી.

સચીનને અલવિદા કહી ફાતમા બેગમ અને પુત્રીઓ મુંબઈમાં સ્થાયી થયાં.

1924માં સરસ્વતી ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સતી સરદારબા‘ આવી. ત્યારે નવી નવી શરૂ થયેલી સરસ્વતી ફિલ્મ્સના સ્થાપક ભોગીલાલ દવે અને નાનુભાઈ દેસાઈ.

સતી સરદારબા ફિલ્મમાં ફાતમા બેગમ, ઝુબેદા તથા સુલતાનાએ રોલ કર્યા.

આમ, હિંદુસ્તાની સિનેમામાં પ્રથમ વખત એક જ ફિલ્મમાં માતા અને બે પુત્રીઓએ એક સાથે અભિનય આપ્યો.

મુંબઈમાં ફાતમા બેગમના કુટુંબને હવે કામનો તોટો ન હતો. સરસ્વતી ઉપરાંત તેમને કોહિનૂર ફિલ્મ્સમાં સ્થાન મળ્યું. કોહિનૂરની કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ગુલ-એ-બકાવલિમાં માતા-પુત્રીઓનું કામ વખણાયું. તે જ અરસામાં મણિલાલ જોષી દિગ્દર્શિત પૃથ્વી વલ્લભમાં પણ તેમને ત્રણને અભિનયની તક મળી. કનૈયાલાલ મુનશીની નવલકથા પર આધારિત ફિલ્મ પૃથ્વી વલ્લભમાં ફાતમા બેગમ મૃણાલવતીના રોલમાં હતાં. પૃથ્વી વલ્લભમાં ભાલજી પેંઢારકરનું કામ નોંધવું રહ્યું, કારણ કે પેંઢારકર ભાઈઓ સાથે વિખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક વી. શાંતારામ મહારાષ્ટ્રમાં ફિલ્મ ઉદ્યોગને ખીલવવામાં મોખરે રહ્યા.

પેંઢારકર ભાઈઓ વી. શાંતારામના મસિયાઈ ભાઈઓ થાય.

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 35 ) * * અનન્યા/080830/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

અનન્યા/080726/ફિલ્મ-સિનેમા

.

અનન્યા/080726/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 34 )

મિત્રો! આપને અરદેશર ઈરાનીની કહાણીમાં રસ પડ્યો ને ?

અરદેશર ઈરાનીની સ્ટાર ફિલ્મ્સની વાત થતી હોય  ત્યારે ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ઝુબેદા અને આલમઆરાની વાત ન આવે તે કેમ ચાલે?

મેં આપને અગાઉ ‘વીર અભિમન્યુ‘ ફિલ્મમાં ફાતમા બેગમની વાત કરી હતી, ધ્યાનમાં છે ને? દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અંગ્રેજોની પહેલી વ્યાપારી કોઠી 1613માં નખાઈ, ત્યારે સુરત મહત્વનું બંદર હતું. ત્યાર પછી સુરતનો વિકાસ ઉત્તરોત્તર થતો રહેલો. હિંદુસ્તાનની આઝાદી પૂર્વે પણ સુરત અંગ્રેજ અમલમાં સારું વિકાસ પામેલું.

મિત્રો! સુરતની દક્ષિણે પંદર-વીસ કિલોમીટર દૂર સચીન નામે નવાબી રજવાડું. સચીન સ્ટેટ તરીકે ઓળખાતા આ રજવાડાના નવાબને નવાબી જનાનખાનું.  તેમાં એક બેગમ ફાતમા બેગમ. રાજાશાહીના જમાનામાં માનીતી-અણમાનીતી કે મોભાદાર – બિનમોભાદાર રાણીઓની વાતો આપે સાંભળી હશે! નવાબી જનાનખાનાનો મરતબો ફાતમા બેગમના તકદીરમાં ન હતો.

ફાતમાબેગમને ઝુબેદા, સુલતાના અને શાહજાદી નામે પુત્રીઓ. વીસમી સદીના બે દશકા માંડ વીત્યા હતા. માતા-પુત્રીઓ રંગીન સ્વપ્નાં જોયા કરતાં. ફાતમાબેગમને ફિલ્મી દુનિયાની ચકાચૌંધ મુંબઈ ખેંચી ગઈ.  તે સમયે ‘સ્ટાર ફિલ્મ કંપની’વાળા અરદેશર ઈરાની અને ભોગીલાલ દવે ‘વીર અભિમન્યુ’ની તૈયારીઓ કરતા હતા.

1922માં ફાતમા બેગમ અને સુલતાનાને ફિલ્મ લાઈનમાં એક સાથે એક જ ફિલ્મમાં ‘બ્રેક’ મળ્યો. મા-દીકરીને વીર અભિમન્યુમાં પાત્ર મળી ગયાં. ફાતમા બેગમ સુભદ્રાના અને સુલતાના ઉત્તરાના રોલમાં નામ કમાઈ ગયાં.

મિત્રો! 1931માં  ફાતમા બેગમનાં પુત્રી ઝુબેદા હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ – ટોકી સિનેમા – આલમઆરાનાં સર્વ પ્રથમ અભિનેત્રી બન્યાં.

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 34 ) * * અનન્યા/080726/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

અનન્યા/080614/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)

.

આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.

સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’

ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે સ્ટારના ભાગીદારો સજ્જ હતાતેમણે પોતાની પ્રથમ ફિલ્મ માટે તે મૂંગી ફિલ્મોના જમાનામાં અધ…ધ….ધ કહેવાય તેવું એક લાખ રૂપિયાનું બજેટ રાખ્યું.

વાર્તાકાર મોહનલાલ દવેને રસભરી સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું સોંપ્યું.

ફિલ્મનું દિગ્દર્શન મણિલાલ જોશી નામના ગુજરાતીને સોંપ્યું. “અનન્યા”ના મારા મિત્રો! ઈરાની-દવેએ ફિલ્મ માટે કલાકારો પસંદ કરવામાં પણ કસર ન છોડી. ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે મદનરાય વકીલ નામના જાણીતા ગુજરાતી કલાકારની વરણી થઈ. દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે સચીન સ્ટેટના નવાબી કુટુંબનાં ફાતિમા બેગમ (ફાતમા બેગમ)ની સુભદ્રાના પાત્રમાં અને તેમનાં પુત્રી સુલતાનાની ઉત્તરાના પાત્રમાં પસંદગી થઈ. ફિલ્મમાં અભિમન્યુનું મુખ્ય પાત્ર ફિલ્મ ડાયરેકટર મણિલાલ જોશીએ સ્વયં ભજવ્યું હતું.

ફિલ્મ નિર્માતા ઈરાની-દવે પૌરાણિક કથાની ભવ્યતાને પડદા પર દર્શાવવા ઇચ્છતા હતા. મને યાદ છે, મિત્રો! તેમણે સેંકડોની સંખ્યામાં એક્સટ્રા કલાકારો એકત્ર કર્યા હતા. એક અંદાજ પ્રમાણે ‘વીર અભિમન્યુ’માં પાંચ હજાર એક્સટ્રા કલાકારો હતા.

‘વીર અભિમન્યુ’ ફિલ્મથી અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’નું નામ ગાજવા લાગ્યું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 33) * * અનન્યા/080614/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

* * * * * * * * **

અનન્યા/080607/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)

.

મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.

ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.

અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની ઊભી કરી. મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’ અસ્તિત્વમાં આવી.

“અનન્યા”ના મારા મિત્રો! મૂંગી સિનેમા (સાયલેન્ટ મુવી) ના તે જમાનામાં પૌરાણિક કથાઓની ફિલ્મો ખૂબ ચાલતી. મેં અગાઉ આપને મોહનલાલ દવે ની વાત કહી હતી.

ગુજરાતી પટકથા લેખક મોહનલાલ ગોપાળદાસ દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઈટર.

ઇરાની શેઠે મોહનલાલ જી. દવેને ફિલ્મ માટે સારો વિષય અને સબળ પટકથા – સ્ક્રીપ્ટ – સૂચવવા અનુરોધ કર્યો.

તેમાંથી ઈરાની – દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’ની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ” બની.

ફિલ્મ વિશે હું કાંઈ કહું તે પહેલાં આપ મને અભિમન્યુ વિશે પ્રશ્ન કરવાના છો.

વેદ વ્યાસના અમર મહાકાવ્ય ‘મહાભારત’નું એક ઉત્તમ પાત્ર, વીર છતાં અતિ કરુણ પાત્ર તે અભિમન્યુ.

મહાભારતની કથા પ્રમાણે અર્જુનનાં એક પત્ની સુભદ્રા. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજીનું હરણ કરી અર્જુને તેમની સાથે વિવાહ ફરેલા.

અર્જુન – સુભદ્રાનો મહા પરાક્રમી પુત્ર તે અભિમન્યુ.

અભિમન્યુને બે પત્નીઓ હતી. એક પત્ની વિરાટ રાજાની પુત્રી ઉત્તરા. બીજી પત્ની ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામની પુત્રી વત્સલા.

મહાભારતના યુદ્ધમાં કૌરવોએ દુર્ભેદ્ય ચક્રવ્યૂહ રચ્યો. તેરમા દિવસે વીર અભિમન્યુ એકલે હાથે તેના કોઠા ભેદવા લાગ્યો. છેક છેલ્લે કોઠે કૌરવ પક્ષના છ યોદ્ધાઓએ ભેગા મળી અભિમન્યુ પર હુમલો કર્યો.

ભારે શૌર્ય દાખવી, એકલે હાથે યુદ્ધ કરતાં કરતાં અભિમન્યુ વીર ગતિ પામ્યો.

તે સમયે ઉત્તરા ગર્ભવતી હતી. અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર તે રાજા પરીક્ષિત, જેમણે શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી હતી.

અભિમન્યુની કરુણ – વીર રસથી ભરી ગાથાને સ્ટાર ફિલ્મ કંપનીએ સુંદર ચિત્રણ કરી 1922માં ભવ્ય ફિલ્મરૂપે ‘વીર અભિમન્યુ’ રજૂ કરી.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 32) * * અનન્યા/080607/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * *** * * * *

* * *** * * * * * * * ** * * * * * * **

અનન્યા/080531/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 31)

.

અરદેશર ઈરાનીભારતના ફિલ્મ ઉદ્યોગને પ્રથમ ટોકી મુવી (Talkie movie) અર્થાત્ સવાક્ સિનેમા (બોલતું ચલચિત્ર કે બોલપટ)ની ભેટ આપી.

ભારતીય સિનેમાની પ્રથમ ટોકી ફિલ્મ તે અરદેશર ઈરાની દ્વારા નિર્મિત ‘આલમ આરા’.

અરદેશર ઈરાની ખાનદાન પારસી કુટુંબનું ફરજંદ. તેમનો જન્મ 1886 (કે 1885 ?)માં થયો હતો. તેમના પિતાને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટસનો વ્યવસાય હતો. તે જમાનાના મુંબઈ (Mumbai, Bombay) ના શાનદાર કાલબાદેવી રોડ પર તેમની દુકાન હતી.

યુવાન વયે અરદેશરે નવા ફાલતા ફિલ્મ વિતરણના ધંધામાં ઝંપલાવ્યું.

વીસમી સદીના આરંભનો તે સમય હતો. ફિલ્મ વિતરક વિદેશમાં બનેલી ટૂંકી મૂંગી ફિલ્મોની આયાત કરતા. મુંબઈ કલકત્તા જેવા મોટા શહેરોમાં તે પ્રદર્શિત કરતા.

“અનન્યા”ના મિત્રો! આપને મારી એ વાત પર આશ્ચર્ય થશે કે તે સમયે ફિલ્મ માટે હજી થિયેટર્સ કે સિનેમાગૃહો બન્યાં ન હતાં. ફિલ્મ વિતરક ખુલ્લા મેદાનમાં તંબૂ ઠોકી, આવા તંબૂ થિયેટરોમાં સિનેમા બતાવતા. બંધ તંબૂમાં સિનેમા બતાવવાનું મશીન (જેમકે કાઇનેટોસ્કોપ) અને પડદો ગોઠવાતાં. પડદા સામે જમીન પર કે ખુરશી પર દર્શકો બેસતાં.

આવાં તંબૂ થિયેટરોમાં સાંજે અંધારું થયા પછી મૂંગી ફિલ્મો બતાવાતી. પ્રેક્ષકો બળદગાડાંમાં કે ઘોડાગાડીમાં બેસી સિનેમા જોવા આવતાં. ક્યારેક ફિલ્મ વિતરક પોતે પ્રેક્ષકોને લેવા-મૂકવા ઘોડાગાડીની વ્યવસ્થા કરી આપતો!

મુંબઈમાં એક ફિલ્મ વિતરક શેઠ અબ્દુલ અલી યુસુફ અલી હતા. અરદેશર ઈરાનીએ શેઠ અબ્દુલ અલી સાથે ભાગીદારી કરી ફિલ્મ વિતરણના ધંધાને જમાવ્યો.

મને બરાબર યાદ છે, મિત્રો! શરૂઆતમાં અરદેશર ઈરાની મુંબઈના આવા તંબૂ થિયેટરોમાં ફિલ્મ-પ્રદર્શન કરતા વિતરક હતા.

વીસમી સદીના શરૂઆતનાં વર્ષોમાં કલકત્તા (કોલકતા Kolkata)માં પણ આવાં તંબૂ થિયેટરોમાં જ ફિલ્મો બતાવાતી.

કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયના પ્રણેતા જમશેદજી ફરામજી માદન નામક પારસી સજ્જન હતા. મુંબઈના વતની માદન શેઠ યુવાન વયે કલકત્તા જઈ ઠરીઠામ થયેલા. કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયમાં ભારે સ્પર્ધાનો સામનો કરી પૈસા કમાયા. તેમને ફિલ્મ પ્રદર્શિત કરવા પાકા બાંધેલા સિનેમા હોલની આવશ્યકતા સમજાઈ.

માદન શેઠે 1907માં કલકત્તા શહેરમાં પ્રથમ સિનેમાગૃહ ‘એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ’ બાંધ્યું. માદન શેઠનું ‘એલ્ફિન્સ્ટન’ હિંદુસ્તાનનું પ્રથમ ફિલ્મ થિયેટર મનાય છે.

અરદેશર ઈરાની એ પોતાના કોમી બિરાદર માદન શેઠની કલકત્તાની સફળતામાંથી પ્રેરણા લીધી. અરદેશર ઈરાની અને શેઠ અબ્દુલ અલી યુસુફ અલીના સંયુક્ત સાહસથી મુંબઈમાં બોમ્બે સેંટ્રલ વિસ્તારમાં એલેક્ઝાન્ડ્રા સિનેમા થિયેટર સારું વિકાસ પામ્યું.

એલેક્ઝાન્ડ્રા (કે એલેક્ઝાન્ડર) થિયેટર આસપાસના વિસ્તારો – બોમ્બે સેંટ્રલ- નાગપાડા- કમાઠીપુરા – ની ખ્યાતિ-કુખ્યાતિને સ્વીકારી ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી બની રહ્યું.   * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 31) * * અનન્યા/080531/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **

અનન્યા/080524/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 30)

.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકેની ફિલ્મનિર્માણ પ્રવૃત્તિમાં ઊંડો રસ લેનાર એક ગુજરાતી બ્રાહ્મણ મયાશંકર ભટ્ટ હતા.

દાદાસાહેબ ફાલકેની સિનેમા પ્રોડક્શન કંપની ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ની ફિલ્મોની વિતરણ વ્યવસ્થા મયાશંકર ભટ્ટ કરતા. ચલચિત્રનિર્માણના ઉજળા ભવિષ્યને પારખી મયાશંકરે પોતાના ફોઈના દીકરા ભોગીલાલ દવેને પોતાની સાથે તૈયાર કર્યા.

ભોગીલાલ દવે ફિલ્મનિર્માણ માટે ફોટોગ્રાફીની તાલીમ અર્થે અમેરિકા ગયા. “અનન્યા”ના મિત્રો કદાચ જાણતા હશે કે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ફોટોગ્રાફી શીખવા માટે વિશ્વનું સૌ પ્રથમ તથા સૌથી મોટું ઇન્સ્ટીટ્યૂટ – ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફી (NYIP, New York, USA) – આવેલું છે.

1910માં આરંભ પામેલું ન્યૂ યોર્ક (યુએસએ)નું આ ફોટોગ્રાફી ઇન્સ્ટીટ્યૂટ આજે પણ કાર્યરત છે.

ભોગીલાલ દવેએ ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફીમાં બે વર્ષ અભ્યાસ કર્યો.

આ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન ઇન્સ્ટીટ્યૂટનો કોર્સ કરી સર્ટિફીકેટ મેળવનાર ભોગીલાલ દવે પ્રથમ ગુજરાતી બન્યા.

અમેરિકા (યુએસએ)માં ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીથી પરિચિત થઈ ભોગીલાલ દવે હિંદુસ્તાન પરત આવ્યા.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 30) * * અનન્યા/080524/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * *** * * * * * * * **

અનન્યા/080517/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 29)

.

શ્રી નાથ પાટણકર ઉર્ફે એસ. એન. પાટણકર પોતાની શક્તિ પ્રમાણે ફિલ્મ લાઈનમાં ફાળો આપવા ઝઝૂમતા રહ્યા. “અનન્યા”ના મારા મિત્રો! 1922ના અરસામાં ગુજરાતી સાહસિકોએ મુંબઈમાં નેશનલ ફિલ્મ કંપની સ્થાપી હતી. તેના બેનર નીચે પાટણકરે ગુજરાત અને હિંદુસ્તાનની કેટલીક પ્રાચીન કથાઓને આધારે ફિલ્મો બનાવી. તેમાં ‘કરણઘેલો’ ફિલ્મની કથા ગુજરાતના છેલ્લા નોંધપાત્ર રાજપૂત શાસક કર્ણ દેવ પર કેન્દ્રિત હતી.

પાટણકરની અન્ય ફિલ્મોમાં ‘સતી મદાલસા’, ‘ભક્ત બોડાણા’, ‘માર્કંડેય અવતાર’, ‘રાણકદેવી’, ‘વનરાજ ચાવડો’, ‘વામન અવતાર’, ‘ભર્તૃહરિ’, ‘મહાશ્વેતા કાદંબરી’ વગેરે સમાવિષ્ટ છે.

નેશનલ ફિલ્મ પછી પાટણકર ‘પાયોનિયર ફિલ્મ કંપની’ સાથે જોડાયા. તેમાં તેમણે ‘સત્યવિજય’, ‘મનોવિજય’, ‘કચ દેવયાની’, ‘દો રંગી દુનિયા’, ‘અબોલ રાણી’ વગેરે ફિલ્મો બનાવી.

ફિલ્મ નિર્માણમાં એસ. એન. પાટણકર ( શ્રી નાથ પાટણકર) ચૌદેક વર્ષ સક્રિય રહ્યા.

ચાલીસેક ફિલ્મોના નિર્માણમાં તેમનું યોગદાન હોવાનું મનાય છે. 1941માં તેમનું અવસાન થયું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 29) * * અનન્યા/080517/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **

અનન્યા/080510/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 28 )

‘કોહિનૂર’ અને ‘કૃષ્ણ’ – બંને ફિલ્મ કંપનીઓએ મુંબઈના સિનેમા જગતના – બોલિવુડના – પાયામાં ગજબનું ચણતર-કામ કર્યું.

તે સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પટ્ટણી બંધુઓ અને મુંબઈમાં શ્રી નાથ પાટણકર, ભટ્ટ અને દવે તેમજ અરદેશર ઈરાનીહિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગને વિશેષ ઘાટ આપ્યો.

પાટણકર અને દ્વારકાદાસ સંપટની વાત મેં આપને કહી છે.

પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ માંડ વીસેક મૂંગી ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે. તેમાં અડધો અડધ ફિલ્મો દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ) પ્રકારની હતી.

“અનન્યા”ના મારા મિત્રો! આપ જાણો છો કે તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સમગ્ર હિંદુસ્તાનમાં ચેતનાનો સંચાર કરેલ. આફ્રિકાથી હિંદુસ્તાન પરત ફરી મહાત્મા ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપેલા (પ્રથમ કોચરબ, પછી હરિજન આશ્રમ, સાબરમતી).

ગાંધી વિચારધારાને પ્રસરાવવા ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ગાંધીજી પર ઉતારેલાં બે દસ્તાવેજી ચિત્રો નોંધનીય ગણાયાં. ગુજરાતમાં કાઠિયાવાડ-સૌરાષ્ટ્રના રાજ્યકર્તાઓ અને પ્રજાના ભાવિ વિષે ચર્ચા કરવા સમયાંતરે કાઠિયાવાડ રાજકીય પરિષદનું આયોજન થતું રહેતું.

1925ના વર્ષમાં આવી ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ભાવનગરમાં ભરાયેલી.

મહાત્મા ગાંધી તેના પ્રમુખપદે હતા. તે ત્રીજી પરિષદનું દસ્તાવેજી ચિત્ર પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ ઉતારેલું.

સૌરાષ્ટ્ર ફિલ્મ્સ દ્વારા નિર્મિત બીજું દસ્તાવેજી ચિત્ર ‘સ્વાશ્રય’ હતું જેમાં ગાંધીજીના અમદાવાદના આશ્રમજીવનની ઝલક હતી.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી==અઠ્ઠ્યાવીસમો  હપ્તો ( હપ્તો 28 ) * * અનન્યા/080510/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * **

* * * * *

અનન્યા/080503/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 27)

આપને ચીમનલાલ લુહારની થોડી શી વાત કરી દઉં.

“ચીમનલાલ એમ. લુહાર બી.એસસી”નો જન્મ 1901માં થયો હતો. તેમની સિનેમા જગતની કારકિર્દીની શરૂઆત લેખક અને સિનેમેટોગ્રાફર તરીકે થઈ.

પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’માં ચીમનલાલ લુહાર પ્રકાશમાં આવ્યા. “અનન્યા”ના મિત્રોને તે સમયની ફિલ્મોના નામ કહું તો સાચે જ હસવું આવશે! ‘ઈશ્કનો ઉમેદવાર’, ‘સનમની શોધમાં’, ‘સુધરેલ શયતાન’ ઈત્યાદિ …

ચીમનલાલ લુહાર સૌરાષ્ટ્ર ઉપરાંત કોહિનૂર ફિલ્મ્સ, કૃષ્ણ ફિલ્મ્સ, શારદા ફિલ્મ્સ વગેરે ફિલ્મ કંપનીઓ સાથે સંકળાયા. પાછળથી તેમણે પોતાની ફિલ્મ નિર્માણકંપની પણ સ્થાપી.

તેમની ફિલ્મોમાં ભાત ભાતના કલાકારો ચમક્યા. ‘સનમની શોધમાં’ ફિલ્મથી અભિનેત્રી ડોરોથી જાણીતી થઈ, પછી તેને હર્ષદરાય સાકરલાલ મહેતા દિગ્દર્શિત ‘સોનેરી ખંજર’માં પણ કામ મળ્યું.

ત્રીસ જ વર્ષની નાની ઉંમરે ચીમનલાલ લુહાર ફિલ્મ દિગ્દર્શક બન્યા.

સિંધ પ્રદેશની વિખ્યાત પ્રેમ કથા પર આધારિત ફિલ્મ ‘સસ્સી પુન્નુ’નું દિગ્દર્શન તેમણે અન્ય એક સહયોગી સાથે સફળતાથી કર્યું.

ફિલ્મ ડાયરેક્ટર તરીકે ચીમનલાલની બીજી ફિલ્મ ‘તલાશ-એ-હક’.

આ ફિલ્મમાં અલ્હાબાદના જદ્દનબાઈની છ વર્ષની પુત્રી બાળ કલાકાર તરીકે આવી અને પછીના થોડા વર્ષોમાં તો મુંબઈના ફિલ્મજગતની ટોચની અભિનેત્રી તરીકે હિંદુસ્તાનમાં જ નહીં, વિદેશમાં પણ નામના પામી. ‘અનન્યા’ના મિત્રો! આપ જાણો છો તે બાળ કલાકારને?

ચીમનલાલ લુહારની ‘તલાશ-એ-હક’માં બાળ કલાકાર તરીકે રજૂ થનાર છ વર્ષની બાળકી તે નરગીસ; સમય જતાં નરગીસ દિલીપકુમાર સાથે ‘મેલા’ તથા રાજ કપૂર સાથે ‘આવારા’, ‘બરસાત’ જેવી સફળ ફિલ્મોમાં નામ કમાયાં.

મુંબઈ-બોલિવુડમાં છવાઈ જનાર બિલિમોરાના વતની એવા ગુજરાતી ફિલ્મ-નિર્માતા મહેબૂબની ફિલ્મ ‘મધર ઇંડિયા’એ નરગીસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધિ અપાવી. પણ નરગીસની આ સિદ્ધિ જોવા ચીમનલાલ લુહાર ન રહ્યા; 1948માં માત્ર 47 વર્ષની ઉંમરે ચીમનલાલ લુહારનું અવસાન થયું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 27) * * અનન્યા/080503/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * **

અનન્યા/080426/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 26)

 

 

પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની તથા પાછળથી સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની તરીકે ઓળખાઈ.

 

તેમની એક પ્રારંભિક ફિલ્મ હતી સમુદ્રમંથન (1924).

પટ્ટણી ભાઈઓની તે ફિલ્મ પુરાણકથા પર આધારિત હતી. તેમાં દેવ-દાનવોના સમુદ્રમંથનની કથા  હતી. સમુદ્રમંથનની ટ્રીક ફોટોગ્રાફી એટલી તો અદભુત હતી કે દેશ વિદેશમાં તેની ભારે પ્રશંસા થઈ.

યુરોપના વિવેચકો-તજજ્ઞો ચંપકરાય પટ્ટણીની કલા અને સૂઝ-બૂઝ પર ઓળઘોળ થઈ ગયા. ઇંગ્લેંડની રોયલ ફોટોગ્રાફિક સોસાયટીએ ચંપકરાય પટ્ટણીને ઓનરરી એસોસિયેટસનું સન્માન બક્ષ્યું. ગરવા ગુજરાતી ચંપકરાય પટ્ટણી આ સન્માન પામનાર સર્વ પ્રથમ ભારતીય બન્યા.

પટ્ટણી ભાઈઓને એક કુશાગ્ર કસબીનો સાથ મળી ગયો. તે ગુજરાતી કસબીનું નામ ચીમનલાલ લુહાર, બી.એસસી. જે જમાનામાં ફિલ્મ લાઇનથી શિક્ષિત લોકો દૂર રહેતા, તે જમાનામાં સાયન્સ ગ્રેજ્યુએટ ચીમનલાલ સિનેમા ઉદ્યોગમાં ઝંપલાવે તે મોટી વાત ન કહેવાય? કહેવાય છે કે ચીમનલાલ લુહાર પોતાની વિજ્ઞાન-સ્નાતકની પદવી માટે ખૂબ જ ગર્વ અનુભવતા હતા અને પોતાના નામ સાથે ડિગ્રી લખાય તેવો આગ્રહ રાખતા.

 

ચીમનલાલ લુહારને  છબીકલા   સિનેમેટોગ્રાફીનું ઊંચું જ્ઞાન હતું. સિનેમેટોગ્રાફર તરીકે સૌરાષ્ટ્ર ફિલ્મ્સમાં આવ્યા.

 

સનમની શોધમાં નામક ફિલ્મથી ચીમનલાલ જાણીતા થયા. તેમાં ડોરોથી નામની અભિનેત્રીએ કામ કરેલું.

 

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 26) * * અનન્યા/080426/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

*   *   * *       *  *     *  *      **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **

 

અનન્યા/080419/ફિલ્મ-સિનેમા

 

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 25)

દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ જ્યારે મુંબઈમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતનું નામ આંકી રહ્યા હતા, ત્યારે બે ગુજરાતી ભાઈઓએ સિનેમા ઉદ્યોગને કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં લાવવાનું અકલ્પનીય સાહસ ખેડ્યું હતું.

 મિત્રો! કોહિનૂર તથા કૃષ્ણ ફિલ્મ કંપનીઓથી થોડી આડી વાતે હું જઇ રહ્યો છું, પણ તે જ અરસામાં તે ભાઈઓની સાહસવૃત્તિ અને સિદ્ધિ પ્રેરણાદાયી હોવાથી તે કથા આપને કહી જ દઉં.

આ બે ભાઈઓનાં નામ વજેશંકર પટ્ટણી અને ચંપકરાય પટ્ટણી. આ બે ભાઈઓ તત્કાલીન ભાવનગર રાજ્યના કાબેલ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના કુટુંબીજનો.

ચંપકરાય પટ્ટણીને સિનેમેટોગ્રાફીમાં ખૂબ રસ પડ્યો. તેમણે ફ્રાન્સના ફિલ્મનિર્માતા મેલિઝ (મેલિએઝ?)ની ટેકનિક્સનો ઊંડો અભ્યાસ કર્યો. અનન્યાના વાચકમિત્રોને જ્યોર્જ મેલિઝનો ટૂંક પરિચય આપી દઉં?

જ્યોર્જ મેલિઝ  (Georges Melies France; 1861 – 1938) ફ્રાન્સના જ નહીં, યુરોપના સિનેમા ઉદ્યોગના અગ્રગણ્ય પ્રણેતા. મેલિઝે ફિલ્મનિર્માણ ક્ષેત્રે   વિશેષ તો ટ્રીક ફોટોગ્રાફી અને સ્પેશિયલ ઇફેક્ટસ ક્ષેત્રે ફિલ્મજગતને અવનવી ટેકનિક્સ આપી છે. મેલિઝની જાણીતી ટેકનિક્સમાં ફેડ-ઈન (Fade-In) તથા ફેડ-આઉટ (Fade-out) નો સમાવેશ થાય છે.

બંને પટ્ટણી ભાઈઓએ રાજકોટ ખાતે જ ફિલ્મ સ્ટુડિયો સ્થાપવાનું નક્કી કર્યું. તેમણે અલ્પવિકસિત રાજકોટ-ગોંડલ રોડ પર પ્રોસેસિંગ લેબોરેટરી સહિતની સગવડ સાથે ફિલ્મનિર્માણ કેન્દ્ર ઊભું કર્યું.

પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની તથા પાછળથી સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની તરીકે ઓળખાઈ.  

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 25) * * અનન્યા/080419/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

*   *   * *       *  *     *  *      **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **