*
.
અનન્યા/080112/આજકાલ-સામાન્યજ્ઞાન
આજ-કાલ
ભારત અવકાશ-સંશોધન (Space Research) ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
શરૂઆતમાં પહેલાં અવકાશ સંશોધન ડિપાર્ટમેંટ ઓફ એટમિક એનર્જીને હસ્તક હતું.
1962માં INCOSPAR (Indian National Committee for Space Research) ની રચના થઈ તથા થુમ્બા ઇક્વેટોરિઅલ રોકેટ લોંચિંગ સ્ટેશન (TERLS Thumba Equatorial Rocket Launching Station) ની સ્થાપનાના પ્રયત્નો આરંભાયા. 1963ના નવેંમ્બરમાં થુમ્બા ખાતેથી ભારતનું પ્રથમ રોકેટ છોડવામાં આવ્યું. “અનન્યા”ના વાચકો જાણતા હશે કે 1967માં અમદાવાદ (ગુજરાત) માં સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન (પછીથી સેક Space Application Centre) બનાવવામાં આવ્યું.
1969માં ઇસરો (ISRO Indian Space Research Organisation) ની રચના થઈ.
ગરવા ગુજરાતી વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના કુશળ માર્ગદર્શન હેઠળ 1971માં ભારતનું બીજું રોકેટ લોંચિંગ સ્ટેશન શ્રીહરિકોટા (Sriharikota) કાર્યરત થયું જ્યારે 1971માં ઓક્ટોબરની 9મી તારીખે પ્રથમ રોકેટ ‘રોહિણી’ લોંચ કરાયું.
1972માં ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેંટ ઓફ સ્પેસ બનાવવામાં આવ્યું.
1975ના એપ્રિલની 19મીએ ભારતના પ્રથમ માનવસર્જિત – આર્ટિફિશિયલ – સેટેલાઇટ “આર્યભટ્ટ”ને રશિયા (USSR)માંથી છોડવામાં આવ્યો.
1979માં ભારતનો બીજો સેટેલાઇટ “ભાસ્કર – 1” પણ રશિયા ખાતેથી છોડવામાં આવ્યો. ત્યાર પછી ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે અબાધિત પ્રગતિ કરતું રહ્યું છે.
ભારતના કુશાગ્ર વૈજ્ઞાનિકોએ મિસાઇલ્સના સફળ પ્રયોગો કરેલા છે. “અનન્યા”ના વાચકો ને એ જાણીને ખુશી થશે કે તાજેતરમાં ભારતીય સંરક્ષણ તજજ્ઞો-વૈજ્ઞાનિકોએ ડિસેમ્બર 6, 2007ના રોજ દુશ્મન દેશના બેલિસ્ટિક મિસાઇલ્સ એટેક સામે રક્ષણ આપતાં હાઇપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલ AAD-02 નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
ડિસેમ્બર છઠ્ઠીએ ઓરિસ્સાના ચાંદીપુર પાસેથી ટાર્ગેટ મિસાઇલ “પૃથ્વી” છોડવામાં આવ્યું જે 110 કિમીની ઊંચાઈએ પહોંચી ધરતી ભણી ધસવા લાગ્યું. પાંચ જ મિનિટ પછી ત્યાંથી 70 કિમી દૂરથી ઇન્ટરસેપ્ટર મિસાઇલ AAD-02 છોડવામાં આવ્યું. માત્ર 25 સેકંડમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલ તેના ટાર્ગેટ મિસાઇલને આંતરીને તોડી પાડવામાં સફળ થયું.
દુનિયાના માત્ર ત્રણ અન્ય દેશો – અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ – પાસે આ એડવાન્સ્ડ સંરક્ષણ પ્રણાલી છે. ભારતીય વૈજ્ઞાનિકોની આ ગૌરવપ્રદ સિદ્ધિ છે. * * * અનન્યા/080112/આજકાલ/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * *
સામાન્યજ્ઞાન
આપ જાણો છો તેમ સમાનવ અવકાશયાન ( સ્પેસક્રાફ્ટ Spacecraft)માં અવકાશયાત્રા કરનાર પ્રથમ રશિયન યુરી ગાગારીન (યુએસએસઆર, એપ્રિલ, 1961) તથા પ્રથમ અમેરિકન એલન શેફર્ડ (યુએસએ, મે, 1961) હતા.
અવકાશ સંશોધનમાં રશિયાના વોસ્ટોક, વોસ્ખોદ અને સોયુઝ મિશન કાર્યક્રમો તેમજ અમેરિકાના મર્ક્યુરી, જેમિની અને એપોલો મિશન કાર્યક્રમો જાણીતા બન્યા.
અમેરિકા અને રશિયાની ચંદ્ર ભણી માનવરહિત અવકાશયાત્રાઓની વાત આપે “અનન્યા”ના ગયા અંકમાં વાંચી.
ચંદ્ર પર માનવીને ઉતારવાની પૂર્વતૈયારી રૂપે 1965માં રશિયા અને અમેરિકાએ પોતાના અવકાશયાત્રીઓ ( એસ્ટ્રોનોટ્સ Astronauts) ને સ્પેસ વોક કરાવી. પોતાના અવકાશયાનમાંથી બહાર નીકળી સ્પેસ વોક કરનાર પ્રથમ રશિયન એલેક્સી લિયોનોવ (માર્ચ 1965). સ્પેસ વોક કરનાર પ્રથમ અમેરિકન એડવર્ડ વ્હાઈટ (જૂન 1965).
ચંદ્ર-ઉતરાણના નિર્ધાર સાથે નવેમ્બર, 1968માં અમેરિકાએ “એપોલો મિશન”ના કાર્યક્રમો શરૂ કર્યાં. અમેરિકાના એપોલો મિશન અંતર્ગત 21 ડિસેમ્બર, 1968ના રોજ લોંચ થયેલ ‘એપોલો-સેટર્ન-8’ મિશનના અમેરિકન એસ્ટ્રોનોટ્સ બોરમેન, લોવેલ અને એન્ડર્સ ચંદ્રને પ્રથમ પ્રદક્ષિણા કરનાર પૃથ્વીવાસી બન્યા. “અનન્યા”ના વાચકોને માનવીના ચંદ્ર પર ઉતરાણમાં જરૂર રસ પડશે.
1969ના જુલાઈની 16મી તારીખે અમેરિકાએ એપોલો-11 અવકાશયાન (‘એપોલો-સેટર્ન-11’ મિશન) છોડ્યું. તેમાં ચંદ્ર પર ઉતરાણ માટે લ્યુનર મોડ્યુલ હતું. એપોલો-11ના ત્રણ અમેરિકન એસ્ટ્રોનોટ્સ આર્મસ્ટ્રોંગ, કોલિન્સ અને એલ્ડ્રીન હતા.
1969ની 20મી જુલાઈએ અમેરિકાના એપોલો-11ના લ્યુનર મોડ્યુલનું ચંદ્ર પર ઉતરાણ થયું અને તેમાં સવાર આર્મસ્ટ્રોંગ અને કોલિન્સ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવી બન્યા.
અમેરિકન અવકાશયાત્રી નિલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવી બન્યા. તે જ દિવસે, થોડી મિનિટો પછી, કોલિન્સ પણ લ્યુનર મોડ્યુલમાંથી બહાર આવ્યા અને કોલિન્સ ચંદ્ર પર પગ માંડનાર બીજા માનવી બન્યા. આ દરમ્યાન એપોલો કમાંડ-યાનમાં બેસી એલ્ડ્રીન ચંદ્રની પ્રદક્ષિણા કરતા રહ્યા હતા. ગુજરાતમાં ત્યારે ટીવી પ્રસારણ ન હતું. એપોલો-11ના ચંદ્ર ઉતરાણની રનિંગ કોમેંટ્રી રેડિયો પરથી – અમેરિકાના રેડિયો સ્ટેશન “વોઇસ ઓફ અમેરિકા” પરથી પ્રસારિત થઈ હતી. મને યાદ છે તે મુજબ, ભારતીય સમયાનુસાર તે મધરાતે (20 જુલાઈની રાત; 21 જુલાઈની વહેલી સવારે આશરે 1.30 વાગ્યે IST) નિલ આર્મસ્ટ્રોંગનો પગ ચંદ્ર પર મૂકાયો, ત્યારે અમને સૌને માનવજાતની મહાન સિદ્ધિ માટે પારાવાર ખુશી થઈ હતી. * * ** *
* * * અનન્યા/080112/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * * * *
ગુજરાતી-અંગ્રેજી
અંગ્રેજી શીખવાની ધૂનમાં આપણે ક્યારેક ગુજરાતી ભાષાના અશુદ્ધ પ્રયોગો પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ. ઉતાવળમાં હું પણ અશુદ્ધ વાક્યરચનાઓ કરી બેસું છું. ક્યારેક વાચકના હિતમાં સર્ચ એંજિન્સના સંભવિત પરિણામોનો વિચાર કરીને મારે છૂટ લઈને, શબ્દો કે વાક્યોને લખવા પડે છે. અજાણતાં થયેલ ભૂલ નજરે ચડે ત્યારે મને સાચે જ શરમ ઉપજે છે. એક મહત્વની વાત એ યાદ રાખીએ કે ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષા જેવી પરોક્ષ રચનાઓ (Indirect naration) નથી.
અશુદ્ધ પ્રયોગ : અશોકે કહ્યું કે તે મુંબઈ ગયો હતો.
શુદ્ધ પ્રયોગ: અશોકે કહ્યું કે હું મુંબઈ ગયો હતો.
અશુદ્ધ પ્રયોગ: અનન્યાએ કહ્યું કે તેણીએ ફોન કર્યો હતો.
શુદ્ધ પ્રયોગ : અનન્યાએ કહ્યું કે મેં ફોન કર્યો હતો. * **
* * * * અનન્યા/080112/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * *
Filed under: આજકાલ / સામાન્યજ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, અવકાશ સંશોધન, એપોલો, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ચંદ્ર, જાન્યુઆરી 2008, ભારત, હરીશ દવે, GK, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008